આમ આદમી પાર્ટી
તારીખ: 13/12/2023
વિપક્ષને તોડવા અને એક તરફી તાનાશાહી થઈ જાય તે માટે તેઓ હથકંડા અપનાવતા રહે છે અને આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાડે છે: ગોપાલ ઇટાલીયા
ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી: ગોપાલ ઇટાલીયા
અત્યાસુધી ડરાવી, ધમકાવી અને લાલચ આપીને અનેક નેતાઓનો પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે: ગોપાલ ઇટાલીયા
સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું: ગોપાલ ઇટાલીયા
અમદાવાદ/સુરત/જુનાગઢ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને 156 સીટો મળી, તેમ છતાં પણ હજુ સુધી સારા કામ કરવાની તેમનામાં નીતિ જાગી નથી. કઈ રીતે વિપક્ષને તોડી પાડવો અને કઈ રીતે ગુજરાતમાં એક તરફી તાનાશાહી થઈ જાય તે માટેના હથકંડા તેઓ અપનાવતા રહે છે. આમાં ભુપતભાઈ ભાયાણી જેવા લોકો સાથે મળીને જનતાને નુકસાન પહોંચાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી.
ભૂતકાળમાં આપણે જોયું છે કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી, ધમકાવી અને લાલચ આપીને પક્ષ પલટો કરાવ્યો છે. પરંતુ કોઈનામાં હિંમત હોય તો મને ડરાવી ધમકાવી બતાવે. તમે સાધારણ લોકોને પક્ષપલટો કરાવી શકો છો પરંતુ આમ આદમી પાર્ટીના અને અરવિંદ કેજરીવાલજીના અસલી સૈનિકોને પક્ષ પલટો નથી કરાવી શકતા. નકલી ટોલનાકા, નકલી સીરપ, લઠ્ઠા કાંડ જેવી વસ્તુઓ થઈ રહી છે, પરંતુ એ દિશામાં સારું કામ કરવા માટે તેમની પાસે સમય નથી પરંતુ વિપક્ષને કઈ રીતે ખતમ કરવો તેના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે.
સત્તાની પાછળ છુપાયેલા કાયર લોકો જે કંઈ પણ કૃત્ય કરી રહ્યા છે તેનો અમે મજબૂત જવાબ આપીશું. આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી. આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી. નાની મોટી જે પણ આવી સમસ્યાઓ આવે છે તેને પાર કરીને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરતા રહીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત