પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ગળાફાંસો ખાધો
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોવાની શંકા રાખીને પત્ની અવાર નવાર બોલાચાલી ઝઘડા કરતી હતી. જેથી કંટાળીને પતિએ દોઢેક વર્ષ અગાઉ પણ દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. ત્યારે 4 જાન્યુઆરીના દિવસે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલ હરીઓમ એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇ સોનીગરાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ મનીષા વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે.
મનસુખભાઇના પુત્ર આશીષે દશેક વર્ષ પહેલા આર્યસમાજમાં મનીષા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતાં. મનસુખભાઇની મરજી વિરૂદ્ધ આશીષે મનીષા સાથે લગ્ન કર્યા ત્યારે તે અલગ રહેતો હતો. આશિષને જ્યારે કામ હોય ત્યારે તે પોતાના ઘરે આવતો હતો અને માતા પિતાને મળતો હતો. આશિષ ઘરે આવે ત્યારે મનસુખભાઇને જણાવ્યુ હતું કે, મનીષા તેના પર ખોટા શક વહેમ રાખીને અવાર નવાર ઝઘડા કરીને ત્રાસ આપતી હતી. જેનાથી કંટાળીને આશિષે દોઢેક વર્ષ અગાઉ દવા પીને આત્મહત્યાની પણ કોશિષ કરી હતી.