અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો
20 જુલાઈ 2023ના રોજ રાત્રે 00.30 વાગ્યે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડતી જેગુઆર કારે ભયંકર અકસ્માત કર્યો; તેમાં પોલીસ/ હોમગાર્ડ સહિત કુલ 10 લોકોના જીવ ગયા અને 12 લોકોને ઈજા થઈ ! પોલીસે IPC કલમ-270/ 337/ 338/ 304/ 504/ 506(2)/ 114 તથા મોટર વાહન અધિનિયમ કલમ-177/ 184/ 134(b) હેઠળ ગુનો નોંધી આરોપી તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલ (19) અને પ્રજ્ઞેશભાઈ હર્ષદભાઈ પટેલ (44) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે. IPC કલમ-304 હેઠળ આજીવન કેદ/ 10 વરસ સુધીની કેદ-દંડની જોગવાઈ છે. અકસ્માત કરનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અમદાવાદ અને ગાંધીનગરમાં ગેંગ રેપ/હત્યાની કોશિશ/ હત્યા માટે કાવતરું/ જમીન પચાવી બરોબર વેચી નાખવી/ છેતરપિંડી વગેરે અંગે કુલ 12 ગુના નોંધાયેલા છે. પ્રજ્ઞેશ મોંઘી કાર અને દારૂ પીવાનો શોખીન છે. ચીટિંગમાં તેની માસ્ટરી છે ! BBCએ પ્રજ્ઞેશના ગુનાઓનો ઈતિહાસ આપ્યો છે; તે જોતાં પ્રજ્ઞેશ રાક્ષસ કરતા હલકો જણાય છે !
ચોંકાવનારી બાબત એ છે કે પ્રજ્ઞેશ સામે 12 ગંભીર ગુનાઓ નોંધાયા છે, તે જેલમાં ગયો છે; છતાં તે જામીન પર મુક્ત છે ! આપણા કાયદાઓ કેટલા અન્યાયી છે; ન્યાયતંત્ર કેટલું સડેલું છે, તેનો આ પુરાવો છે ! ગેંગ રેપ કરનાર જામીન પર હોય? પ્રજ્ઞેશ કાયદાને કચડી નાખવાનો અનુભવી છે, તેથી પોતાના પુત્ર તથ્યને સજા ન થાય તે માટે તમામ યુક્તિઓ અજમાવશે !
24 ફેબ્રુઆરી 2013ના રોજ, જજીજ બંગલા રોડ પર BMW કારના ચાલક વિસ્મય શાહે બે કોલેજીયન યુવાનો-રાહુલ પટેલ અને શિવમ દવેને હડફેટે લઇ તેના જીવ લીઘા હતા. અને વિસ્મય નાસી ગયો હતો. અમદાવાદની સેશન્સ કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની જેલની સજા/દંડ ફટકારેલ. વિસ્મયે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરેલ. દરમિયાન ભોગ બનનારના બન્ને પરિવારને વિસ્મયે દોઢ દોઢ કરોડ આપી સમાધાન કર્યું હતું. છતાં હાઇકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણીએ વિસ્મયની 5 વરસની સજા કાયમ રખેલ. વિસ્મયે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરેલ. વિસ્મયના વકીલે દલીલ કરેલ કે ‘બંને પીડિતોના પરિવારોને હવે કોઈ ફરિયાદ નથી !’ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપેલ કે ‘તમે પૈસાથી ન્યાય ન ખરીદી શકો !’ સત્ય એ ન્યાયનો આત્મા છે. ન્યાય એ નફો કમાવવાના ઉદ્દેશ્ય સાથે સૌથી વધુ બોલી લગાવનારને વેચવા કે હરાજી કરવા માટેની કોમોડિટી નથી !
સવાલ એ છે કે શું પૈસા ન્યાયને દૂષિત કરતા નથી? તથ્ય પટેલને ઓછામાં ઓછી 10 વરસની કે આજીવન કેદની સજા થાય તો 160 કિલોમીટરની પૂરઝડપે ગાડી ચલાવનારા સીધા દોર થાય અને લોકોના જીવ બચે